કરજણ તાલુકાના મિંયાગામ ખાતે ગામને વિવિધ ગામો સાથે જોડતા એપ્રોચ રોડ ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય છવાતાં રોડ ઉપરથી અવરજવર કરતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મિંયાગામને જોડતા લાકોદરા, વડવા અને કંબોલા ત્રણ રોડ આવેલા છે. જે એકબીજાના ગામોમાં અને ખેતરોમાં ખેતી કામ માટે જવા આવવા માટે સગવડતા રૂપ છે. ગત વર્ષે ચોમાસામાં રોડની સાઈડો ઉપર ગાંડા બાવળો ઊગી નીકળ્યા હતાં. જે હવે રોડ સુધી ફેલાતા રોડ ઉપરથી અવર જવર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. અડધા રોડ સુધી બાવળોની ડાળખીઓ ફેલાઈ આવી છે,જે રાહદારીઓ માટે મુશ્કેલીરૂપ બની રહી છે. ઉપરાંત અહીંથી પસાર થતાં નાના મોટા વાહનચાલકો માટે પણ મુશ્કેલી સર્જી રહી છે, નમી પડેલી ઝાડીઓના કારણે સામેથી આવતાં વાહનો જોવામાં મુશ્કેલી પડે છે.જેના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. રાત્રી દરમિયાન આ સમસ્યા વધુ જોખમી બની જતી હોય છે. ગ્રામજનો દ્વારા તંત્રને અવાર નવાર ઝાડીઓ કટિંગ કરાવવા માટે રજુઆતો કરવા છતાં આજ દિન સુધી આ ગાંડા બાવળ દૂર કરાયા નથી. ત્યારે આગામી ચોમાસા પહેલા ઝાડીઓ દૂર કરવા માગ કરાઈ છે.
