ભારતીય રંગમંચની વિવિધતા અને સમૃદ્ધ વારસાની ઉજવણી કરતો વડોદરા રાષ્ટ્રીય નાટય મહોત્સવની બીજી એડિશન શહેરમાં યોજાઈ હતી. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ્ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત ચાર દિવસીય મહોત્સવમાં જાણીતા અભિનેતાઓ અને રંગકર્મીઓની પ્રસ્તુતિએ નાટયરસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
મહોત્સવનું ઉદ્વઘાટન જાણીતા અભિનેતા અને રંગમંચ કલાકાર મકરંદ દેશપાંડેએ કર્યું હતું. તેમના લેખન અને દિગ્દર્શન હેઠળનું મનુષ્ય નાટક પણ રજૂ થયું હતું. માનવીય સ્વભાવ, ઓળખ અને આંતરિક વિરોધાભાસોને કેન્દ્રમાં રાખતા આ નાટકમાં ફ્ડકે નામના પાત્ર દ્વારા એક વ્યક્તિમાં રહેલા વિદૂષક, ફ્લિોસોફર અને સામાન્ય માણસના વિવિધ પાસાં રજૂ કરવામાં આવ્યા હતા.
મહોત્સવમાં પુરાને ચાવલ - પુરાની સોચ નહીં, પુરાના તજુર્બા નાટકમાં જાણીતા અભિનેતા કુમુદ મિશ્રા અને તેમની ટીમે હાસ્ય સાથે જીવનના અનુભવો અને સંબંધોની સમજણ રજૂ કરી હતી. જ્યારે વીર ગોકુલા દ્વારા ઇતિહાસ, શૌર્ય, સાહસ અને બલિદાનની ગાથા રંગમંચ પર જીવંત બની હતી. આ ઉપરાંત મારે ગયે ગુલ્ફમમાં જાણીતા રંગકર્મી રઘુબીર યાદવે માનવીય લાગણીઓ, સંબંધો અને જીવનની જટિલતાઓને અસરકારક અભિનયથી રજૂ કરી હતી. ચાર દિવસીય મહોત્સવમાં આત્મચિંતન, હાસ્ય, માનવીય સંબંધો, ઇતિહાસ અને સંઘર્ષ જેવા વિવિધ વિષયોને આવરી લેતા નાટકો રજૂ થયા હતા. મહોત્સવે વિદ્યાર્થીઓ અને નવા કલાકારોને વ્યાવસાયિક રંગમંચની દુનિયા તથા જીવંત પર્ફોર્મન્સની કળાને નજીકથી સમજવાની તક પણ પૂરી પાડી હતી. પારુલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પારુલ પટેલે જણાવ્યું હતું કે, થિયેટર દર્શકોને એકસાથે લાવવાની સાથે તેમને હસાવે છે, વિચારવા પ્રેરે છે અને પોતાની લાગણીઓ તથા આસપાસની ઘટનાઓ અંગે આત્મચિંતન કરવા દોરી જાય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો