વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ચર્ચાસ્પદ બનેલા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર પરમાર હત્યા કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. ડેસરના નવા કેસરા મુવાડાના રહેવાસી ધર્મેશ પરમારની હત્યા મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં રોષ અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધર્મેશ પરમાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, 4 જૂનની રાત્રે વાલાવાવ-ડેસર માર્ગ નજીક આવેલા એક ખેતરમાં મારામારીની ઘટના બની હતી. આ દરમિયાન ધર્મેશ પરમાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ લાકડીઓ અને વાસી જેવા હથિયારો વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હુમલા દરમિયાન “મુવાડા વાળા આજે તો તમને પતાવી દઈએ” જેવી ધમકી આપવામાં આવી હતી.
ગંભીર ઇજાઓના કારણે મોત
ઘટના બાદ બે દિવસ સુધી ધર્મેશ પરમારનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ વાલાવાવ-ડેસર રોડ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું બહાર આવ્યું છે.
ચાર મુખ્ય આરોપીઓ સામે હત્યા નો ગુનો
આ કેસમાં નસરૂ રાઉલ, સમીર રાઉલ, ઈરફાન રાઉલ અને સદામ રાઉલ સહિત ચાર મુખ્ય આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરાંત 4થી 5 મહિલાઓને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ શરુ
પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે ગેરકાયદેસર મંડળી બનાવી પૂર્વયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. હાલ ડેસર પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો--- Gujarat Latest News live : ફિલીપાઇન્સમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ , અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભૂકંપ