હાલ ચોમાસાની સીઝન શરૂ થતાં જ નસવાડી તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પાયે વાવેતર કરાઇ રહ્યું છે. જ્યારે કેટલાય ખેડૂતો પોતાનું વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે. પરંતુ, વર્તમાન સમયમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેઓ કૂવા કે ટયુબવેલ મારફ્તે પિયત આપીને પોતાના મોંઘા બિયારણને બચાવવા માટે રાત-દિવસ મથામણ કરી રહ્યાં છે.


આ કપરી પરિસ્થિતિમાં વીજ કંપનીની બેદરકારી ખેડૂતો માટે પડતા પર પાટા સમાન છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વિના દિવસમાં અસંખ્ય વાર વીજ પુરવઠો ખોટકાય છે. આ આડેધડ પાવર કટને કારણે જે પિયતનું કામ માત્ર બે દિવસમાં પૂર્ણ થવાનું હોય તેમાં અઠવાડિયા કરતાં પણ વધુ સમય નીકળી રહ્યો છે. જેને લીધે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને અંતે ખેડૂતોને જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.

આ ગંભીર બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર અને ખેડૂત અગ્રણી વનરાજસિંહનો સંપર્ક સાધતા તેમણે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા વીજ લાઇનનું યોગ્ય મેન્ટેનન્સ થાય અને પૂરતો સ્ટાફ્ કાર્યરત કરવામાં આવે તે માટે તેમણે બે મહિના અગાઉ જ સંબંધિત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. છતાં, તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ખેડૂતો પરેશાન થયા છે.

અધિકારીઓ સમક્ષ અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતા, આખરે વનરાજસિંહ દ્વારા આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરાઇ છે. વરસાદ ખેંચાવાની ગંભીર સ્થિતિને જોતા, હાલમાં ખેતીવાડી માટે મળતા 8 કલાકના વીજ પુરવઠાને વધારીને 10 કલાક કરવા માંગ કરાઇ છે. ધારાસભ્યે પણ આ પ્રશ્નની ગંભીરતા સમજીને તેઓને ખાતરી આપી છે કે, તેઓ ખેડૂતોના હિતમાં સરકાર અને ઉચ્ચ કક્ષાએ આ બાબતની મજબૂત રજૂઆત કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: