'સંસ્કારી નગરી' વડોદરામાં રસ્તાઓ પર પડતા ભૂવાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા એસટી બસ ડેપોની બહાર જ રસ્તા પર પડેલા એક વિશાળ ભૂવામાં મુસાફરોથી ભરેલી એસટી બસ ફસાઈ જવાની ઘટના બની છે. તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. એસટી બસ મુસાફરોને લઈને નિઝામપુરા બસ ડેપો તરફ જઈ રહી હતી.
રોડમાં પડેલા ભૂવામાં બસના ટાયર ઘૂસ્યા
જેવી બસ ડેપોની બહારના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ, કે તરત જ રોડમાં પડેલા ભૂવામાં બસના પાછળના ટાયર ઊંડે સુધી ઘૂસી ગયા હતા. બસ અચાનક નમી પડતા અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બસ ફસાઈ જવાને કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અંદાજે અડધો કલાક સુધી બસ તે જ હાલતમાં ફસાયેલી રહી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી, પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.













