વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ગરીબ વ્યક્તિનું અવસાન થતાં, તેની પત્નીએ સ્મશાનમાં જવાના બદલે ઘરની નજીક જ ખુલ્લામાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ભરચક વિસ્તારમાં આ પ્રકારે ઘર પાસે જ ચિતા સળગાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને ચકચાર મચી ગઈ હતી. આ અસાધારણ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

પરિવારમાં કોઈ ન હોવાથી મહિલા થઈ લાચાર 

મૃતક વ્યક્તિ પોતાની પત્ની સાથે વાઘોડિયા રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવન ગુજારતો હતો. પરિવારમાં અન્ય કોઈ સભ્યો કે સગા-સંબંધીઓ હાજર ન હતા. લાંબા સમયની બીમારી અથવા અન્ય કારણોસર વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી જવાના કે અન્ય ધાર્મિક વિધિ કરવા માટેના પૂરતા નાણાં ન હોવાને કારણે લાચાર બનેલી પત્નીએ આ આકરૂં પગલું ભરવું પડ્યું હતું. આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાના લીધે મહિલાએ ઘર આંગણે જ અંતિમ ક્રિયા પતાવી દીધી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.

પાણીગેટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી

રહેણાંક વિસ્તારની નજીક જ આ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવતા કોઈકે આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પાણીગેટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકની પત્ની તેમજ આસપાસના પાડોશીઓની પૂછપરછ હાથ ધરી છે કે આ મોત કુદરતી હતું કે અન્ય કોઈ કારણસર, તેમજ કયા સંજોગોમાં આ રીતે અંતિમ સંસ્કાર કરવા પડ્યા તેની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો