વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ગરીબ વ્યક્તિનું અવસાન થતાં, તેની પત્નીએ સ્મશાનમાં જવાના બદલે ઘરની નજીક જ ખુલ્લામાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ભરચક વિસ્તારમાં આ પ્રકારે ઘર પાસે જ ચિતા સળગાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને ચકચાર મચી ગઈ હતી. આ અસાધારણ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
પરિવારમાં કોઈ ન હોવાથી મહિલા થઈ લાચાર
મૃતક વ્યક્તિ પોતાની પત્ની સાથે વાઘોડિયા રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવન ગુજારતો હતો. પરિવારમાં અન્ય કોઈ સભ્યો કે સગા-સંબંધીઓ હાજર ન હતા. લાંબા સમયની બીમારી અથવા અન્ય કારણોસર વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી જવાના કે અન્ય ધાર્મિક વિધિ કરવા માટેના પૂરતા નાણાં ન હોવાને કારણે લાચાર બનેલી પત્નીએ આ આકરૂં પગલું ભરવું પડ્યું હતું. આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાના લીધે મહિલાએ ઘર આંગણે જ અંતિમ ક્રિયા પતાવી દીધી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
