નસવાડી : દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેની શરુઆત સંયુક્ત રાષ્ટ્રસંઘના 1972ના સ્ટોકહોમ સંમેલન પછી વર્ષ 1974થી થઈ હતી. જેનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.


હવા, પાણી, જમીન, નદીઓ, પર્વતો, જંગલો અને પશુ-પંખીઓથી આપણું પર્યાવરણ બનેલું છે. જેના પર સમગ્ર માનવજીવનનું અસ્તિત્વ આધારિત છે. પરંતુ આજના આધુનિક યુગમાં ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, આડેધડ વૃક્ષોનું નિકંદન, વધતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકના અતિશય ઉપયોગને કારણે પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનથી વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ) વધી રહ્યું છે, જેના લીધે અનિયમિત ઋતુચક્ર, અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ વધી છે.

વૃક્ષો પર્યાવરણના સાચા રક્ષક છે. તેઓ ઓક્સિજન આપે છે. વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે, સંસ્થાઓની જ નહીં, પરંતુ દરેક નાગરિકની ફ્રજ છે. શાળા કક્ષાએ બાળકોમાં નાનપણથી જ આ સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે. ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિમાંથી જળ, જંગલ અને જમીનના સંયમપૂર્વક ઉપયોગની પરંપરા શીખવા જેવી છે.

તેમ નસવાડી તાલુકાના પાલા સીઆરસીના શિક્ષક અર્જુનભાઇ સાંકાભાઇ ડીંડોરે જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત ન રહેતા, સમગ્ર વર્ષ દરમિયાન એક વૃક્ષ - એક જીવન અને પ્લાસ્ટિક મુક્ત જીવન જેવા સંકલ્પો સાથે પ્રકૃતિની રક્ષા કરવી એ જ આપણા સ્વસ્થ અને સુખી ભવિષ્યની ચાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: