શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન નસવાડીની સરકારી બી. એડ્. કૉલેજ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27ના નવપ્રવિષ્ટ તાલીમાર્થી માટે સંસ્કૃતકક્ષ (સંસ્કાર, સંવાદ, સંસ્કૃતિ)નું ઉદ્ઘાટન તથા દીક્ષારંભ (ઓરિએન્ટેશન) સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત મંગલાચરણ, સંસ્કૃતકક્ષના શુભ ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા દીપ પ્રજજ્વલન અને રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ગાન સાથે થઈ હતી. ત્યારબાદ આયોજક સરકારી બી. એડ્. કૉલેજ, નસવાડી પરિવાર દ્વારા અતિથિનું પુષ્પગુચ્છ, શાલ અને તુલસીના છોડ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. જે પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રો. ડો. હરિભાઈ કાતરીયાએ નવપ્રવિષ્ટ તાલીમાર્થીને ભાવિ શિક્ષક તરીકેના દાયિત્વ, મૂલ્યનિષ્ઠા અને સંસ્કારયુક્ત શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. જેના મુખ્ય અતિથિ અને સંસ્કૃત વિભાગ (શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા)ના અધ્યક્ષશ્રી પ્રો. ડો. ભાવપ્રકાશ ગાંધીએ ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત ભાષાના ગૌરવ તેમજ સંસ્કૃતકક્ષના માધ્યમથી થનારા શૈક્ષણિક-સંસ્કૃતિક વિકાસ વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું. સમારોહ દરમિયાન કૉલેજના તાલીમાર્થીઓ દ્વારા સરસ્વતી વંદના, ગીતા આધારિત વક્તવ્ય, સમૂહગીત, પંચ પ્રકલ્પ રજૂઆત, સંસ્કૃત વ સાયન્સ વિષયક વક્તવ્ય, સુભાષિત ગાન તેમજ નાટય પ્રસ્તુતિ જેવા વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રકલ્પો ઉત્સાહપૂર્વક રજૂ કરાયા હતા. કાર્યક્રમના સંયોજક તરીકે સમગ્ર સરકારી બી. એડ્. કૉલેજ, નસવાડી રહી હતી. અંતે આભારવિધિ અને વૈદિક શાંતિપાઠ સાથે સમારોહની સફ્ળ પૂર્ણાહુતિ કરાઇ હતી.
