શહેરમાં સોમવારે ચતૂર્થીએ ભગવાન શ્રીગણેશજીની મૂર્તિની સ્થાપના સાથે ગણશોત્સવનો પ્રારંભ થયો છે. આ વખતે 11 દિવસ આતિથ્ય માણ્યાં બાદ શ્રીજીની મૂર્તિનું વિવિધ તળાવોમાં વિસર્જન થવાનું છે, ત્યારે તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, આ વખતે 12 તળાવમાંથી 11 થઈ ગયા છે. જેથી ખાસ કરીને પૂર્વ વિસ્તારના ગણેશ મંડળોને તકલીફ પડે, તેવી શક્યતાઓ છે.
મળતી માહિતી મુજબ, શહેરમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટેના કુલ 12 તળાવો હતા.જેમાં પૂર્વ ઝોનમાં ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર ડિમાર્ટ પાસેના કૃત્રિમ તળાવનો પણ સમાવેશ થતો હતો. આ તળાવની જગ્યા થોડા વર્ષ પહેલાં ફાયર સ્ટેશન બનાવવા ફાળવી દેવાઈ હતી. હવે, વિસ્તારનો વ્યાપ થતાં તળાવની જગ્યાએ ફાયર સ્ટેશનનું કામ શરૂ કરાયું છે. જેથી પૂર્વ ઝોનમાં જે ત્રણ તળાવો હતા, તેમાંથી હવે બે થઈ ગયા છે.
એટલે, ખાસ કરીને ખોડિયારનગર અને તેની આસપાસના વિસ્તારના રહીશોને શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા સરદાર એસ્ટેટ પાસે લેપ્રેસી ગ્રાઉન્ડ અને કિશનવાડી UPHC વાળા પ્લોટમાં બનાવાયેલા કૃત્રિમ તળાવ સુધી લાંબા થવું પડશે. આ બે તળાવો ઓછા પડશે, તેવું લાગતાં તંત્રએ હરણી ભીડભંજન હનુમાનજી મંદિર સામે આવેલા તળાવનો શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
આ તળાવમાં છેલ્લાં કેટલાકવર્ષથી માત્ર દશામાતાની મૂર્તિનું જ વિસર્જન થાય છે. આ માટે તળાવમાં દિવાલ ઊભી કરી અલાદયું નાનું તળાવ બનાવાયું છે. જેમાં પંપ મારફતે તળાવનું પાણી ભરવામાં આવે છે. આ તળાવમાં 10 ફૂટ સુધીની શ્રીજીની મૂર્તિનું વિસર્જન થાય, તેવી વ્યવસ્થા કરાશે.
આ સિવાય અન્ય કોઈ તળાવોમાં ફેરફાર કરાયા નથી. તંત્ર પાસે ગણીને 14 દિવસ બાકી રહ્યાં છે, કૃત્રિમ તળાવોની કામગીરી હાથ ધરી પાણી ભરવાનું શરૂ કરી દીધું છે. તેમજ વિસર્જન સવારીઓને લઈને આવતાં ગણેશ મંડળોને તકલીફ ન પડે તે માટે તળાવોની આસપાસ રોડ પર પેચવર્ક અને જરૂર જણાય છે, ત્યાં પેવર બ્લૉકલગાવાયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો