ગુજરાતમાં ભેળસેળિયા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. દૂધથી લઈને મીઠાઈ, પનીર, મસાલા, દવા, ઘી, ખાદ્યતેલ, દૂધની બનાવટો અને ગોળ જેવી રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ ભેળસેળનું પ્રમાણ ચરમસીમાએ પહોંચ્યું છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ થઈ રહ્યાં છે, ત્યારે ભેળસેળના ખેલ પર લગામ લગાવવાની મહત્વની કમાન જ કાયમી અધિકારીના બદલે ચાર્જના ભરોસે ચાલી રહી છે. સરકાર પાસે એક કાયમી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પણ નથી.! તે સવાલ ઉઠયો છે.
ગુજરાતમાં લોકો પોતાના પરિવાર માટે જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદે છે, પરંતુ હવે થેલીમાં સામાન નહીં, ભેળસેળનો ખતરો ઘરે લઈ જઈ રહ્યાં હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જે ખોરાક માટે લોકો પરસેવાના પૈસા ખર્ચે છે, એ જ ખોરાક શુદ્ધ છે કે ઝેરી ભેળસેળથી ભરેલો છે, તેની કોઈ ખાતરી નથી. દૂધથી લઈને માવા-મીઠાઈ, ઘી, પનીર, મસાલા, ખાદ્યતેલ અને ગોળ સુધી ભેળસેળિયાઓએ બજારને નિશાન બનાવ્યું છે. હદ તો એ છે કે, જીવન રક્ષક ગણાતી દવાઓને પણ માફિયાઓએ છોડી નથી. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે, ભેળસેળ સામેની લડાઈનું નેતૃત્વ કેટલું મજબૂત છે? રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) જેવી મહત્વની સંસ્થાની કમાન પણ લાંબા સમય સુધી એક જ અધિકારીના એક્સટેન્શન પર ચાલી અને હવે નવા કમિશનરને ચાર્જ આપવામાં આવ્યો છે.
