શહેરના સરસિયા તળાવ સામે ગાયકવાડી શાસનકાળના સૈકાઓ જુના શ્રી યમનેશ્વર(શ્રીયમુનેશ્વર)મહાદેવમાં પવિત્ર શ્રાવણ-અધિક મહિનાના સોમવાર સહિત દર અમાસે વહેલી સવારે ભસ્મ આરતી કરાય છે.

શહેરના પૂર્વ વિસ્તારના સરસિયા તળાવ સામે સૈકાઓ જૂના શ્રીયમનેશ્વર મહાદેવમાં સદીઓ પૂર્વે સાધુ-સંતો, શિવ આરાધકો જપ-તપ કરતા હતા. ગાયકવાડી શાસનકાળના શિવધામોની શ્રુંખલાના યમનેશ્વર મહાદેવ મંદિરમાં નિત્ય પૂજા-અર્ચન-ભક્તિનો દોર જારી રહે છે. લોકવાયકા એવી છે કે સૈકાઓ પૂર્વે નાગરશૈલી-રજવાડી ડિઝાઇનના પથ્થરો થકી કલાત્મક શિવાલય બનાવાયું હતું. શિવભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન શિવાલયમાં પ્રત્યેક અમાસે, પવિત્ર શ્રાવણ-અધિક મહિનાના સોમવારે સવારે 6 કલાકે ભસ્મ આરતી કરાય છે. બિલ્વ-વડ-પીપળો અને તુલસીની સૂકી ડાળખી સહિત પવિત્ર દ્રવ્યોનો ઉપયોગ કરી સાત્વિક ભસ્મ તૈયાર કરાય છે. સન 2013થી શ્રી દશા મોઢ માંડલિયા વણિક જ્ઞાતિ(જગમાલની પોળ-માંડવી)દ્વારા મંદિરનો વહીવટ સંભાળવામાં આવે છે. શિવભક્તોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે યમનેશ્વર મહાદેવના દર્શન થકી માનવોને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. સૈકાઓ જૂના શિવાલયના ગર્ભગૃહમાં ભિંતચિત્રો ઐતિહાસિક વિરાસતના સાક્ષી છે. ખાસ કરીને નંદીના શિંગડા પર સુવર્ણ-પંચધાતુનો નયનરમ્ય ઢોળ ચઢાવેલો છે.