એમ.એસ.યુનિ.ના હોલ્સ ઑફ રેસિડન્સ દ્વારા બ્રહ્માકુમારી સંસ્થાના સહયોગથી યુનિવર્સિટી હોસ્ટેલના 600 વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવા તથા સ્વસ્થ, શિસ્તબદ્ધ અને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા માટે નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવા વિદ્યાર્થીઓને નશાના હાનિકારક પ્રભાવોથી અવગત કરાવીને વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
જે વિશે માહિતી આપતા ચીફ વોર્ડન મેજર ડૉ. વિજય પરમારે જણાવ્યું હતું કે, હોલ્સ ઑફ રેસિડન્સ હેઠળની 12 બોઇઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલોમાં તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નશાના શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દૂષ્પ્રભાવ અંગે માહિતગાર કરાયા તેમજ નશામુક્ત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. યુવાનો આપણા દેશની સૌથી મોટી શક્તિ છે. વિદ્યાર્થીઓને નશાથી દૂર રાખવા માટે તેમને યોગ્ય દિશા, સકારાત્મક વાતાવરણ અને આત્મબળ આપવું જરૂરી છે. હોસ્ટેલ જીવન દરમિયાન વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. નશામુક્તિ માત્ર વ્યક્તિગત સંકલ્પ નથી, પરંતુ સમગ્ર સમાજ પ્રત્યેની જવાબદારી છે. યુવાનો નશાથી દૂર રહીને પોતાની શક્તિ અને સમયનો ઉપયોગ શિક્ષણ, સર્જનાત્મકતા અને રાષ્ટ્રનિર્માણ માટે કરે તે જરૂરી છે. આ અભિયાન અંતર્ગત સકારાત્મક વિચારધારા, આત્મનિયંત્રણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન અપાયું હતું.
