કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બાળ શિક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ રૂ. 37 લાખના ખર્ચે નવ નિર્મિત ત્રણ આંગણવાડી કેન્દ્રોના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરાયું હતું.
કરજણ તાલુકાના હાડોદ, ઓસલામ અને આલમપુરા ગામના ભૂલકાઓ હવે નવા અને સુવિધાસભર મકાનમાં પોતાના ભણતરની શરૂઆત કરશે. આંગણવાડીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ સાથે તેમના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ તેમજ રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે. અંતરિયાળ ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને તેમના ગામમાં જ સારું વાતાવરણ અને સુવિધા મળી રહે તે દિશામાં આ નવનિર્મિત આંગણવાડી મકાનો મહત્વપૂર્ણ સાબિત થશે. બાળકોના પાયાના શિક્ષણ, પોષણ અને શારીરિક- માનસિક વિકાસને વેગ મળે તે માટે આ સુવિધાઓ ઉપયોગી બનશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રણા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઇનચાર્જ સી.ડી.પી.ઓ. તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
