ત્રીજા શ્રાવણી સોમવારે શહેર-જિલ્લાના શિવાલયોમાં ભક્તોએ શિવપૂજા, રુદ્રાભિષેક કરી, બિલ્વપત્ર અર્પણ કરવા સાથે પંચાક્ષર મંત્રના જાપનુ આયોજન કરાયુ છે. તદુપરાંત શિવલિંગ પર જળ-દૂધ-પંચામૃત સહિત પવિત્ર દ્રવ્યોનો અભિષેકના કાર્યક્રમોનુ આયોજન પણ કરાયુ છે.

પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શિવાલયોમાં હર-હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠશે. બીજીબાજુ ભગવાન શ્રીસત્યનારાયણની કથાનું પણ ઠેર-ઠેર આયોજન કરાયું છે. પવિત્ર શ્રાવણ મહિનાના આવતીકાલના ત્રીજા સોમવારે શહેરના શિવભક્તોએ નવનાથ મહાદેવની પરિક્રમા કરવા સાથે દર્શનનો લાભ લેવાનુ આયોજન કર્યુ છે. શહેરના હજારો શિવ ભક્તો માત્ર પોતાની વ્યક્તિગત મનોકામના ઉપરાંત પરિવાર, સમાજ અને સમગ્ર શહેરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે ભોલેનાથને પ્રાર્થના કરશે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે નાગપંચમીનો સંયોગ સર્જાયો હતો. ભગવાન શિવના ગળામાં નાગરાજનું સ્થાન હોવાથી નાગપૂજાનો શૈવ પરંપરા સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે. ભક્તોએ નાગદેવતાને પ્રાર્થના કરવા સાથે ભગવાન શિવનું સ્મરણ કરી સર્વેના કલ્યાણ માટે સંકલ્પ કરશે. શિવજીને બિલ્વપત્ર અર્પણ કરતી વખતે અહંકારનો ત્યાગ કરવો અને ઓમ્ નમઃ શિવાયનો જાપ કરતાં મનને એકાગ્ર કરવું એ ભક્તિનો સાચો સાર ગણાય છે.