શહેરમાં આજે સોમવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે અનેકસ્થળોએ રસ્તાઓ પર પડેલા ખાડાઓ હવે ગણેશભક્તો માટે પડકાર બની રહ્યાં છે. ગણેશ વિસર્જન પહેલા તકેદારી રાખી રસ્તાઓનું પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો તથા ગણેશ મંડળોના વાહનો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાના છે. આવી સ્થિતિમાં રસ્તા પરના ખાડાઓ જોખમ વધારી શકે છે. ખાસ કરીને જે માર્ગો પરથી ગણેશજીની વિસર્જન યાત્રાઓ પસાર થવાની છે, તે માર્ગોનું તાત્કાલિકનિરીક્ષણ કરી ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઊઠી છે. વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ જતાં તેમની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ટુ-વ્હીલરચાલકો માટે જોખમ વધી જાય છે.
