કરજણ તાલુકાના રણાપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડેલા ડભોઇ તાલુકાના યુવાનો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે એકનો બચાવ થયો હતો. જ્યારે હજુ એક લાપત્તા યુવકની કરજણ તેમજ વડોદરાની ફયર વિભાગની સંયુક્ત ટીમ વ્હેલી સવારથી કામે લાગી હતી. ઘટનાને લઈને ચકચાર મચી છે.
બુધવારે સાંજના 4.30 વાગ્યા બાદ ડભોઇ તાલુકાના કરમાલ ખાતે રહેતા રબારી સમાજના યુવાનો કરજણ તાલુકાના રણાપુર ગામે નર્મદા નદીમાં ન્હાવા માટે આવ્યા હતાં. જેમાં ઉમેશ રબારી, રમેશ પીરાભાઈ રબારી અને જયરામ રબારી નદીમાં ન્હાવા પડયા હતાં. ત્યારે રમેશ અને જયરામ અચાનક પાણીમાં ડૂબી રહ્યા હતાં. તે જોઈ ઉમેશ તેમણે બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અને તે પણ ડૂબવા લાગ્યો હતો. જે સમયે ઉપસ્થિત ઈસમોએ તેનો હાથ પકડી લેતાં તેનો બચાવ થયો હતો. જ્યારે રમેશ અને જયરામ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતાં. જાણ થતાં કરજણ ફયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિકો તરવૈયા સાથે બચાવ કામગીરી આરંભી હતી. રાતના અંધારું થઈ જતાં અને મગરોના ભયથી ફયર જવાનોએ શોધખોળ કામગીરી બંધ કરી હતી. સ્થાનિક તરવૈયાઓને જયરામ રબારીનો મૃતદેહ મળી આવ્યો હતો. જયરામ બિજલાજી રબારી (ઉં.15 રહે. કરમાલ તા.ડભોઈ મૂળ રહે. ધાનેરા, ધ્રૂણારોડ બનાસકાંઠા)ના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય ખાતે પીએમ અર્થે મોકલી દઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાણીમાં ગરકાવ થયેલ બંને યુવાનો પિતરાઈ ભાઈ હોવાનું કહેવાય છે. જ્યારે ગુરુવારે બીજા દિવસે વહેલી સવારે અંદાજે 8 વાગ્યા બાદ કરજણ તેમજ વડોદરાની ફયરની ટીમે નદીના પાણીમાં ગરકાવ થયેલ બીજા યુવકની શોધખોળ શરુ કરી હતી. ત્યારે 6 કલાકની ભારે જહેમત બાદ બપોરે અંદાજે અઢી વાગ્યાના અરસામાં લાશ્કરોની ટીમે એકથી દોઢ કિમીના દાયરામાંથી પાણીમાં ડૂબી જનાર યુવાન રમેશ પીરાભાઈ રબારી (ઉં. 25 વર્ષ રહે. કરમાલ તા.ડભોઈ)નો મૃતદેહને શોધી કાઢયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, મૃતક રમેશભાઈના લગ્ન અંદાજે દોઢેક વર્ષ પહેલાં થયા હતાં. અને 20 દિવસ અગાઉ પિતા બન્યો હતો.










