નસવાડી તાલુકાના વાડિયા ગામના ઝરખલી વાડિયા ફ્ળિયાથી મુખ્ય માર્ગ સુધીનો એપ્રોચ રોડ લાંબા સમયથી ગ્રામજનો માટે મહત્વનો પ્રશ્ન હતો. પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, નસવાડી દ્વારા 1.20 કિમી લંબાઈનો અંદાજે રૂા. 1.20 કરોડના ખર્ચે રોડ મંજૂર કરાયો છે. આ કામનું ટેન્ડર વિરાજ કન્સ્ટ્રકશનને ફળવ્યું છે.

કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરુ કરવાની તજવીજ દરમિયાન સ્થાનિક સ્તરે જમીન સંબંધિત પ્રશ્ન ઉભો થતાં રોડનું કામ અટકયું હતું. ગ્રામજનોએ ધારાસભ્ય અભેસિંહ તડવીને રજૂઆત કરી હતી. જથી તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, ઉપપ્રમુખ સુભાષ રાઠવા, ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુ ભીલ, પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવા, એમ.ઈ. મિલન સહિતના આગેવાનો અને ગ્રામજનોએ સ્થળ મુલાકાત લઈને સર્વે કર્યો હતો. ચર્ચા અને સંકલન બાદ પ્રશ્નનું નિરાકરણ લવાયું હતું. રોડના પ્રશ્નનું નિરાકરણ આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. હવે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાશે, ત્યારબાદ રોડની કામગીરીનો પ્રારંભ કરાશે.

માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવાના જણાવ્યા મુજબ. ઝરખલી વાડિયા ફ્ળિયાથી મુખ્ય માર્ગ સુધીના 1.20 કિમી લાંબા અને રૂ. 1.20 કરોડના ખર્ચના એપ્રોચ રોડને મંજૂરી મળી છે. જેમાં અંદાજે 270 મીટરના ભાગમાં જમીન સંબંધિત પ્રશ્ન હતો. હાલ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. બાકીના રસ્તાના કામમાં કોઈ અડચણ નથી. ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત બાદ કામગીરી શરુ કરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો