14 સપ્ટેમ્બરને સોમવારના રોજથી ગણેશોત્સવનો આરંભ થશે તે પૂર્વે ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખોને ખર્ચ કરીને આતશાબાજી કરાઇ રહી છે. આવા સમયે શહેરમાં શ્રીજીના નાના ભક્તોએ પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાની આગમનયાત્રા નીકાળી હતી. જેને જોઇને શહેરીજનો ભાવવિભોર થયા હતા.

જે વિશે માહિતી આપતા કહાર ધનુષે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અમે સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા પાસે શ્રીજીની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે કઇક યૂનિક કરવાનું વિચારતા અમારા બાળ યુવક મંડળના તમામે તમામ સભ્યોએ હાથે બનાવેલા રથ પર શ્રીજીની આગમન યાત્રા નિકાળવાનું નક્કી કર્યું અને જેને અનુસરતા દાંડિયાબજાર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવથી સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા સુધીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નાના સ્પિકરમાં ભજન વગાડી ગણપતિ બાપ્પા મોરયાના નારા લગાવ્યા હતા. યાત્રામાં બાળ ગણેશના કટઆઉટ અને ધર્મધજાએ આકર્ષણ જમાવ્યું હતું.