વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. જોકે, તંત્ર અત્યાર સુધી આ બાબતે આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યુ છે. પરંતુ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ વિસ્તારોની મુલાકાત લેતા જ આખું તંત્ર સફાળું જાગ્યું છે અને દબાણ હટાવવાની કામગીરી તેજ બની છે.

ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઇ

કોર્પોરેશનના વોર્ડ ઓફિસર અને સ્ટાફ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આક્રમક રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંગળ બજાર અને નવાપુરા જેવા સાંકડા રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. કમિશ્નરની કડક સૂચના બાદ તંત્ર સફાળું જાગ્યુ અને સહેજ પણ આળસ કર્યા વગર આ ઓપરેશનને પાર પાડ્યુ હતુ.

દબાણો દૂર કરાયા

નવા બજાર વિસ્તારમાં નડતર રૂપ એવા રસ્તાઓ પાકા ઓટલાઓને તોડી પાડવામાં આવ્યા હતા. મંગળ બજારમાં દુકાનદારો બહાર લટકાવવામાં આવતા લટકણીયા એટલે કે ડિસ્પ્લે આઇટમ્સ અને રસ્તા પર કબજો જમાવીને બેસતા પાથરણા વાળાઓને દૂર કરવામાં આવ્યા છે.

નિયમ ભંગ કરનારા વેપારીઓ પાસેથી ઉઘરાવાઇ રકમ

મળતી માહિતી પ્રમાણે તંત્રની આ કાર્યવાહી માત્ર દબાણ દૂર કરવા જ પૂરતી નહોતી. કોર્પોરેશને નિયમ ભંગ કરનારા વેપારીઓ પાસેથી આશરે 2 લાખ રૂપિયા જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરીને આર્થિક ફટકો પણ માર્યો છે. આ કાર્યવાહી કર્યા બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે સ્થાનિક રહીશોએ વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતા રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ Gujarat News : 3691 આંગણવાડી બહેનોની તાલીમ સાથે શિક્ષિત અને સુપોષિત ગુજરાતનો સંકલ્પ