વલસાડ શહેરમાં આગામી નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા માટે ખ્રિસ્તી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના માર્ગો પર એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ભાઈ-બહેનો જોડાયા હતા.


ભક્તિમય માહોલમાં રેલીનું ભ્રમણ

નાતાલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વલસાડના ખ્રિસ્તી સમાજે સમગ્ર શહેરને આ પર્વના ઉમંગમાં સહભાગી કરવા માટે આ રેલી યોજી હતી. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. માર્ગો પર ભજન અને સ્તુતિના ગાન સાથે પ્રભુ ઈસુના જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા. રેલીના માધ્યમથી સમાજના લોકોએ અન્ય નાગરિકોને પણ નાતાલની ઉજવણીમાં જોડાવા માટે પ્રેમભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના

આ રેલી જ્યારે શહેરના સર્કિટ હાઉસ પાસે પહોંચી ત્યારે ત્યાં વિશેષ પ્રાર્થના સભા જેવું વાતાવરણ સર્જાયું હતું. ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ પ્રભુ ઈસુના ચરણોમાં શીશ ઝુકાવી વલસાડ શહેરના તમામ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: