પારડીની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા કક્ષાના 77માં વન મહોત્સવની ઉજવણી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કરાયો હતો. આ સાથે રોપા વિતરણ પણ કરાયું હતુ.
કાર્યક્રમમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે, વર્ષ 2025-26 દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. કનૈયાલાલ મુનશીએ સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત કરી હતી. ક્લાઈમેટ ચેન્જના કારણે વધતી આફ્તોને રોકવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા વનીકરણ અત્યંત આવશ્યક છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વન મહોત્સવને માત્ર ગાંધીનગર પૂરતો સીમિત ન રાખતા અન્ય શહેરોમાં પણ વિસ્તારીને પુનીત વન, મારુતિ નંદન વન અને આમ્ર વન જેવા વિવિધ 'સાંસ્કૃતિક વનો' થકી લોકોમાં જાગૃતિ લાવવામાં આવી છે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 72 જેટલા 'નમો વડ વન' બનાવવામાં આવ્યા છે અને 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 10 કરોડ વૃક્ષોના વાવેતર સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરાયું હતુ. કલેક્ટર નીતિન સાંગવાને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે સ્થાનિક સ્તરે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક ડો. બી. સુચિંદ્રાએ કાર્યક્રમની રૂપરેખા આપતા સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક આર.આર. ચૌધરી, નગરપાલિકા ચીફ્ ઓફ્સિર ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો