વલસાડના બંદરરોડ ઔરંગા નદીમાં વર્ષોથી ગણેશ વિસર્જન, દશામાની મૂર્તિઓ, દુર્ગા માતાની પ્રતિમાઓ તેમજ તાજિયાના વિસર્જન કરવામાં આવે છે. જે માટે બનાવેલી જેટી જર્જરિત થઇ ગઇ હતી. તાજેતરમાં આવેલા પૂરમાં જેટી સંપૂર્ણપણે તહેસનહેસ થઇ ગઇ હોવાથી તાકીદે મરામત કરવાની માંગણી સાથે ગણેશમંડળોએ ત્રણ દિવસ પહેલા કલેક્ટર નીતિન સાંગવાનને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું. ક

લેક્ટરે હાલમાં જેટલું થઇ શકે તેટલું કામ કરીશું તેવી હૈયાધરપત આપી હતી. જે બાદ વલસાડ નગરપાલિકા દ્વારા જૂની જર્જરિત જેટીની નજીકમાં જ ગણેશજીની પ્રતિમા ઊંચકીને લઇ જઇ શકાય તે માટે રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. શુક્રવારે જે.સી.બી.ની મદદથી નદીના પટ વિસ્તારમાં પડેલા કાદવના ઢગલા ઊંચકીને નાંખવા માંડયા હતાં. જેની જાણ થતાં જ પાલિકાના માજી પ્રમુખ રાજુભાઇ મરચાં, નજીકમાં આવેલા હનુમાનભાગડા ગામના માજી સરપંચ અને હાલના તા.પં. સભ્ય પ્રીતિબેન પટેલ સહિતના આગેવાનો તથા ગણેશમંડળોના સંચાલકો સ્થળ પર દોડી ગયા હતાં. આગેવાનોએ રેમ્પ બનાવવાના કામમાં પાયો મજબૂત બનાવવા સૌપ્રથમ નીચે મોટા પથ્થરો (રબલ) નાંખવાને બદલે પૂરમાં ઢસડાઇ આવેલા કાદવના થર નાંખવા સામે વિરોધ નોંધાવ્યો હતો. તંત્રની આવી રેઢિયાળ કામગીરીથી નિરાશ થયેલા પાલિકાના માજી પ્રમુખ, તા.પં. સભ્ય સહિતના આગેવાનોએ હવે પછી તેઓ લડત પણ ચલાવશે નહીં તેમ કહીને વિરોધના ભાગરૂપે પ્રતિકાત્મક કબર બનાવીને તેના પર ફૂલહાર ચઢાવી દીધા હતાં. જે બાદ તમામ લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાદ શનિવારે પાલિકા દ્વારા એ ઠેકાણે મોટા-મોટા પથ્થરો (રબલ) નંખાવવામાં આવ્યા હતાં. જે સંદર્ભે માજી પ્રમુખે જણાવ્યું કે, બોલે તેના બોર વેચાય એવી સ્થિતિ હાલ વલસાડ વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્રમાં પ્રવર્તી રહી છે.