દક્ષિણ ગુજરાતના જંગલોમાં કિંમતી વન સંપદાની ચોરી કરતા માફિયાઓ સામે વલસાડ વન વિભાગે લાલ આંખ કરી છે. વલસાડ ઉત્તર વન વિભાગની ટીમે એક દિલધડક ઓપરેશન પાર પાડીને 23 જેટલા વન ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને 16 ટન ખેરના લાકડા ભરેલા ટ્રક સાથે દબોચી લીધો છે. નામદાર કોર્ટે આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.


ખેરના લાકડા ભરેલો ટ્રક જપ્ત

મુખ્ય વન સંરક્ષક ડૉ. બી. સુચિન્તા અને નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ખેરના લાકડાની મોટી હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી ટ્રક નંબર GJ-15 AX-0644 ને આંતર્યો હતો. ટ્રકની તલાશી લેતા વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે કાપેલા અને ઘડતર કરેલા ખેરના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો

23 ગુનાનો ઇતિહાસ અને કોર્ટની કાર્યવાહી

વન વિભાગે ટ્રક અને લાકડાનો જથ્થો જપ્ત કરી આરોપી અર્જુનભાઈ નીછાભાઈ પટેલ (રહે. ગોડથલ, પટેલ ફળિયું) ની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે પકડાયેલ આરોપી અર્જુન પટેલ સામાન્ય ચોર નથી, પરંતુ વન વિભાગના ચોપડે ૨૩ જેટલા ગુનાઓમાં નોંધાયેલો રીઢો ગુનેગાર છે. વન વિભાગે તેને ચીખલીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે ગુનાની ગંભીરતા જોઈને આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી નવસારી સબ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: Palitana: મોબાઈલની દુકાનમાંથી 11.28 લાખની મતા સાફ, શટરના તાળા તોડી તસ્કરો 48 મોબાઈલ ચોરી ફરાર


  • Follow us on: