વલસાડમાં ગણેશ મહોત્સવના આયોજકો, ડીજે સંચાલકો અને વહીવટી તંત્રનાઅધિકારીઓ વચ્ચે યોજાયેલી એકતા સમિતિની બેઠકમાં ઉપસ્થિત એક આયોજકે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શ્રીજીની મૂર્તિઓની ઊંચાઈ સુનિશ્ચિત કરતા જાહેરનામું અમલમાં હોવા છતાં શહેરમાં શ્રીજીની મોટા કદની મૂર્તિઓની સ્થાપના બાબતે સવાલ ઉઠાવતા, બેઠકમાં હાજર મોટા આયોજકોએ તેઓ જાહેરનામાનો ભંગ કરતા હોવાની કબૂલાત કરી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલે ગણેશ મંડળના આયોજકોએ તમામ પ્રકારની મંજૂરી મેળવી લેવાની તાકીદ કરી હતી. તેમણે જાહેર રસ્તા પર મંડપ બાંધી ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોને જાહેર રોડ કોઈ પણ સંજોગોમાં બંધ નહિ રાખી શકાય તેવી કાયદાકીય જોગવાઇઓનો હવાલો આપી, જાહેર રસ્તા પર આયોજન સ્થળોએ ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા આયોજકોને કડક સૂચના આપી હતી. સાથે જ પ્રાંત અધિકારીએ વિસર્જન યાત્રા દરમિયાન ડીજે સંચાલકોને અને આયોજકો તહેવારને અનુરૂપ ધાર્મિક ગીતો વગાડવા ટકોર કરી હતી. બેઠકમાં હાજર પ્રિતેશભાઇ પ્રજાપતિ નામના જાગૃત યુવાને 9 ફૂટની મૂર્તિઓની આગમન યાત્રા બાબતે પૂછતાં, પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગણેશ મંડળના કાર્યકરો ધાર્મિક આસ્થાનું ઉપરાણું લઇ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાની ટકોર કરી હતી.
