વલસાડમાં ગણેશ મહોત્સવના આયોજકો, ડીજે સંચાલકો અને વહીવટી તંત્રનાઅધિકારીઓ વચ્ચે યોજાયેલી એકતા સમિતિની બેઠકમાં ઉપસ્થિત એક આયોજકે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શ્રીજીની મૂર્તિઓની ઊંચાઈ સુનિશ્ચિત કરતા જાહેરનામું અમલમાં હોવા છતાં શહેરમાં શ્રીજીની મોટા કદની મૂર્તિઓની સ્થાપના બાબતે સવાલ ઉઠાવતા, બેઠકમાં હાજર મોટા આયોજકોએ તેઓ જાહેરનામાનો ભંગ કરતા હોવાની કબૂલાત કરી હતી.

બેઠકમાં પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલે ગણેશ મંડળના આયોજકોએ તમામ પ્રકારની મંજૂરી મેળવી લેવાની તાકીદ કરી હતી. તેમણે જાહેર રસ્તા પર મંડપ બાંધી ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોને જાહેર રોડ કોઈ પણ સંજોગોમાં બંધ નહિ રાખી શકાય તેવી કાયદાકીય જોગવાઇઓનો હવાલો આપી, જાહેર રસ્તા પર આયોજન સ્થળોએ ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા આયોજકોને કડક સૂચના આપી હતી. સાથે જ પ્રાંત અધિકારીએ વિસર્જન યાત્રા દરમિયાન ડીજે સંચાલકોને અને આયોજકો તહેવારને અનુરૂપ ધાર્મિક ગીતો વગાડવા ટકોર કરી હતી. બેઠકમાં હાજર પ્રિતેશભાઇ પ્રજાપતિ નામના જાગૃત યુવાને 9 ફૂટની મૂર્તિઓની આગમન યાત્રા બાબતે પૂછતાં, પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગણેશ મંડળના કાર્યકરો ધાર્મિક આસ્થાનું ઉપરાણું લઇ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાની ટકોર કરી હતી.

સિટી પી આઈએચ આર વાળાએ ડીજે સંચાલકોને ડીજે સંચાલકોને તેમના ઇલેક્ટ્રિક ડિસ્પ્લે ઉપર કોઈ પણ વાંધાજનક કે ઉશ્કેરણીજનક લખાણ અથવા કોઈ પણ મહાનુભવના ફોટો અથવા વીડિયો બતાવી કથિત શક્તિ પ્રદર્શનનું કરવાનું કોઈ કૃત્ય નહિ કરવાની અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત ભાગડાખુર્દ ગામના માજી સરપંચ અને વલસાડ તા.પ.ના સભ્ય પ્રીતિબેન પટેલે વિસર્જન સ્થળેથી પરત આવવા માટે વાહનોને ગામમાંથી જે સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાં નાનું પુલિયું બિસ્માર હોવા ઉપરાંત પૂરને કારણે રસ્તો અચાનક બેસી જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખી પગલા લેવા ટકોર કરી હતી. વધુમાં તેમણે લીલાપોરનો નવો બ્રિજ બની ગયો હોય, વાહનોને તે રૂટ મારફતે મોકલવાનું સૂચન કર્યું હતું . પ્રાંત અધિકારી દ્વારા આ બાબતે સ્થળ તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેવી ટકોર કરી હતી. ગણેશ મહોત્સવના આયોજકોએ બિસ્માર રસ્તા અને લચી પડેલ કેબલ વાયરો સહિતની અન્ય નાની મોટી સમસ્યા બાબતે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો