વલસાડ જિલ્લામાં ગુંડાગીરીના બનાવોમાં વધારો થતો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાપીમાં ભંગારનો વેપાર કરતા એક વેપારીનું અપહરણ કરી તેને આશરે 15 કલાક સુધી બંધક બનાવી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. માત્ર 50 હજાર રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ચાર શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.
કારમાં સીટ બેલ્ટથી બાંધીને વેપારીને માર માર્યો
મળતી માહિતી મુજબ આરોપીઓએ વેપારીને તેની જ કારમાં જબરદસ્તી બેસાડી દીધો હતો અને સીટબેલ્ટથી બાંધી દીધો હતો, જેથી તે ભાગી ન શકે. ત્યારબાદ તેને વાપીના પરેટી ગ્રાઉન્ડ અને સરીગામ ગૌશાળા નજીક લઈ જઈ લાકડી અને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન વેપારીને સતત ધમકીઓ આપવામાં આવી અને પૈસા ચુકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.













