દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઉમરગામ તાલુકામાં 'આપ'ના મજબૂત ગણાતા સંગઠનમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાના અંગત ગણાતા મનીષભાઈ હળપતિ આજે વિધિવત રીતે કેસરીયા રંગે રંગાયા છે.

દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં પક્ષપલટો

ઉમરગામમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ તેમજ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં મનીષભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

1500 સમર્થકો સાથે શક્તિપ્રદર્શન

માત્ર મનીષભાઈ જ નહીં, પરંતુ તેમની સાથે ઉમરગામ તાલુકાના અંદાજે 1500 જેટલા સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ ભાજપની વિકાસલક્ષી રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પક્ષપલટાથી ઉમરગામ અને વલસાડ પંથકમાં આમ આદમી પાર્ટીનું માળખું વેરવિખેર થઈ ગયું હોય તેમ જણાય છે.


https://www.instagram.com/reel/DXCeQLygdYV


ભાજપનું સંગઠન બનશે વધુ મજબૂત

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, મનીષભાઈ હળપતિના ભાજપમાં આવવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે. આદિવાસી પંથકમાં મનીષભાઈનો સારો પ્રભાવ હોવાથી ભાજપને મોટો ફાયદો થવાની આશા છે. કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તમામ નવા સભ્યોને આવકારી પક્ષમાં યોગ્ય સ્થાનની ખાતરી આપી હતી.


આ પણ વાંચો - Gujarat Local Body election: મતદાન પહેલા જ 100 બેઠકો ભાજપને ફાળે, સૌથી વધુ કડીમાં 22 ઉમેદવારો બિનહરિફ