- વલસાડમાં દોઢ દિવસના શ્રીજીનું વિસર્જન રંગેચંગે કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ પૈકી કેટલાકે ગણેશજીની પ્રતિમાને નદીમાં, કોઇકે તળાવમાં તો કોઇકે દરિયામાં વિસર્જિત કરી હતી, પરંતુ અમુક જાગૃત ભક્તોએ નદીને પ્રદૂષિત નહીં કરો તેવા અનુકરણીય વિચાર સાથે પોત-પોતાના ઘરની બહાર બનાવેલા મિની તળાવમાં અથવા પાણી ભરેલા ડ્રમ-ટાંકીને શણગારીને તેમાં મૂર્તિને વિસર્જિત કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.
વલસાડ, ધરમપુર, નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં ભક્તોએ પોતાના નિવાસસ્થાન, ધંધા-રોજગારના સ્થળે ગતરોજ તા. 14મી સપ્ટેમ્બરે સ્થાપન કરેલી દોઢ દિવસના ગણેશજીની પ્રતિમાનું આજે બીજા દિવસે બપોરે વિસર્જન કર્યુ હતું. હાલના સમયમાં સ્વચ્છત ભારતનો સંદેશ ઘરે-ઘર પહોંચી રહ્યો છે.
સાથોસાથે અનેક ભક્તોએ તેમના ઘરે સ્થાપન કરેલ ગણેશ પ્રતિમાને આજે ઘરની બહાર બગીચામાં કે સોસાયટીના પ્રાંગણમાં બનાવેલ સુશોભિત ટાંકીઓ, મિની તલાવડીઓ વગેરેમાં સંપૂર્ણ શ્રાદ્ધા અને ભક્તિભાવપૂર્વક મૂર્તિનું વિસર્જન કરી બાપ્પાને ભાવપૂર્ણ વિદાય આપી હતી. આ પ્રકારે ભક્તોએ નદીને પ્રદૂષિત થતી અટકાવવાનો સંદેશ આપ્યો હતો.
