આદિવાસી બહુલ જિલ્લો ગણાતા વલસાડ જિલ્લામાં વસતો આદિવાસી સમાજ આજના આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું જતન ગૌરવભેર કરી રહ્યો છે. ખેતરોમાં રોપણી કર્યા બાદ આનંદ વ્યક્ત કરવા માટે આદિવાસી સમાજના લોકો દિવાસા પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે. જેમાં ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતો નાળિયર ટપ્પાનો રમતોત્સવ આજના સમયમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. બુધવારે દિવાસાની ઉજવણી કરવા અને ટપ્પા યુદ્ધ તરીકે ઓળખવામાં આવતા આ ખેલને માણવા માટે ધરમપુરના સમડી ચોક ખાતે આદિવાસી સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતાં.

ધરમપુરના આદિવાસી સમાજના આગેવાન ડૉ. હેમંત પટેલે જણાવ્યું કે, દિવાસાનો દિવસ આદિવાસી સમાજ માટે ઉત્સવનો દિવસ છે. અષાઢી મહિનાના અંતિમ દિવસ એટલે કે અષાઢી અમાસે દિવાસો ઉજવાય છે. આદિવાસી ભેરૂઓ વરસાદી વાતાવરણમાં રોપણી કર્યાનો આનંદ મનાવવા ટપ્પા રમત રમી જીવનમાં નવા રંગો ભરવાની પરંપરા નિભાવે છે. ગામડામાં બુધવારે ઢીંગલા-ઢીંગલીને શણગાતી વાજતે-ગાજતે આદિવાસી વાદ્યો સાથે લગ્નના ગીત ગાતાં-ગાતાં નદીમાં તરતા મૂકવામાં આવ્યા હતા. આદિવાસી સમાજમાં વિવિધ તહેવારોની ઉજવણીનો પ્રારંભ પણ દિવાસા સાથે થાય છે. નાળિયેરને પવિત્ર માની આદિકાળથી ટપ્પા દાવ રમત રમાય છે. પહેલા ધરતી માતાને નાળિયેરનું પાણી અર્પણ કરી તૂટેલા નાળિયેર પ્રસાદી તરીકે વહેંચે છે. અહીં દરેક વર્ગના લોકો આ રમતમાં ભાગ લે છે. ધરમપુરના આસુરા ગ્રા.પં.ના પ્રવેશદ્વાર પાસે પણ દર વર્ષની જેમ જ લોકો ભેગા મળી નારિયેળ ટપ્પાની રમત રમાઇ હતી.