વાપીના કેવડી ફ્ળિયા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ પટેલ ઘર માટે ચલા ગોલ્ડ કોઈન સર્કલ પાસે આવેલી અગ્નિ બેકર્સમાંથી બ્રેડનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ પેકેટ ખોલ્યા વિના થેલીમાં રહેલી બ્રેડ તરફ્ નજર કરતાં તેમને પેકેટની અંદર મૃત માખી અને અન્ય જીવાત જોવા મળી હતી. આ દૃશ્ય જોઈ પરિવારજનો પણ ચોંકી ગયા હતા. જે બાદ ચેતનભાઈએ તાત્કાલિક બેકરીના દુકાનદારને સમગ્ર બાબતની જાણ કરી હતી. ગ્રાહકના જણાવ્યા મુજબ, દુકાનદાર દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. વરસાદની સિઝન હોવાથી માખી ઊડીને બ્રેડના પેકેટની અંદર આવી ગઈ હશે તેમ જણાવવામાં આવ્યું હતું. ગ્રાહક દ્વારા બ્રેડમાં જીવાત હોવા અંગે વાંધો ઉઠાવવામાં આવતા દુકાનદાર તરફ્થી 'તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો' જેવા શબ્દો કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આખરે શનિવારે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેને પગલે સોમવારે એક ટીમે બેકરીમાં પહોંચી બ્રેડના સેમ્પલ લીધા હતા અને જરૂરી કાર્યવાહી કરીને સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા બ્રેડના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ મહત્વનો રહેશે. ઉલ્લેખનીય છે કે, વાપી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ સ્થળોએ ખાદ્ય ચીજોની ગુણવત્તા અંગે લોકો દ્વારા સવાલો ઉઠી રહ્યા છે.
