વાપીઃ ચણોદ વિસ્તારમાં આવેલા ચંદ્રલોક બિલ્ડિંગ ખાતે ગાયક સ્વર્ગસ્થ કિશોર કુમારની 97મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરસાધના સંગીત એકેડમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓ, કિશોર કુમારના ચાહકો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વ. કિશોર કુમારના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, દાયકાઓ વીતી ગયા હોવા છતાં કિશોર કુમારના ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે અને દરેક પેઢીના સંગીતરસિકોના દિલમાં જીવંત છે. સુરસાધના સંગીત એકેડમીમાં દીપકભાઈ વર્મા પાસે સંગીતનું પ્રશિક્ષણ મેળવી રહેલા ગાયકોએ કિશોર કુમારના લોકપ્રિય અને સુપરહિટ ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. અગ્રણી શિવગિરીજી, શ્યામ સુંદર તિવારી તથા બી. કે. મિશ્રાએ બાળકોને ડાયરી, પેન અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
