ઉત્તર ભારતીય સમાજ માટે શ્રાવણ માસના પ્રથમ સોમવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી દાદરા અને નગર હવેલીના વિવિધ શિવમંદિરોમાં સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલ્વપત્ર અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સેલવાસના ગાયત્રી મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ઉપરાંત લવાચા સ્થિત શિવ મંદિર તેમજ ખાનવેલના તારકેશ્વર મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. જિલ્લાના વિવિધ શિવાલયોમાં રુદ્રાભિષેક, વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિરોમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર સંચાલકો અને સ્વયંસેવકો દ્વારા દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
