દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશ દ્વારા સિલવાસા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય 'અટલ ભવન' ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને કાર્યકરોએ સામૂહિક રીતે રાષ્ટ્રગાન ગાઈ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પી તેમના બલિદાનને યાદ કરાયું હતુ.
કાર્યક્રમને સંબોધતા પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાએ જણાવ્યું હતું કે, દાદરા અને નગર હવેલીનો મુક્તિ દિવસ માત્ર ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પ્રકરણ નથી, પરંતુ રાષ્ટ્રભક્તિ, ત્યાગ અને જનશક્તિનો પ્રતિક છે. આ ભૂમિના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓએ વિદેશી શાસનમાંથી મુક્તિ માટે અદમ્ય સાહસ દર્શાવ્યું હતું, જેના પરિણામે આજે પ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. તેમણે તમામ નાગરિકોને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.
