કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ નજીક આવેલા રખોલી પુલ પરથી બે સગીરાએ દમણગંગા નદીમાં છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. આ કરુણ ઘટનામાં એક સગીરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે અન્ય એક સગીરા ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે નમો મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, દપાડા વિસ્તારની રહીશ 17 વર્ષીય અને 15 વર્ષીય બે સગીરાઓએ બુધવારે અગમ્ય કારણોસર રખોલી પુલ પરથી દમણગંગા નદીમાં ઝંપલાવ્યું હતું. નદીના પથ્થરવાળા તળિયા પર પછડાવાને કારણે બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી 17 વર્ષીય સગીરાનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

15 વર્ષીય ઘાયલ સગીરાને ઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફ્તે સેલવાસની નમો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, માથાના ભાગે ઊંડી ઈજાઓ પહોંચવાના કારણે તેની હાલત અત્યંત કટોકટીપૂર્ણ છે અને તે આઈસીયુ (ICU) માં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી એક સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો અને આ પગલું ભરવા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો