બનાસકાંઠા જિલ્લાની દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે વર્ષ 2023માં થયેલા એક ચકચારી હત્યા કેસમાં ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં એક યુવકની કરપીણ હત્યા કરવાના ગુનામાં અદાલતે ભાભર તાલુકાના મોતીસરી ગામના ચાર નરાધમોને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સખત સજા ફટકારી છે. કોર્ટના આ કડક વલણથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
2023માં વહેમ રાખીને કરી હતી યુવકની કરપીણ હત્યા
આ ચકચારી કેસની વિગતો મુજબ વર્ષ 2023માં ભાભરના મોતીસરી ગામે આડા સંબંધની આશંકામાં એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે મોતીસરી ગામના ચાર શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. વાવ-થરાદ અને દિયોદર પંથકમાં ભારે ચર્ચા જગાવનારા આ મર્ડર કેસનો ખટલો દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ આજે અંતિમ નિર્ણય લેવાયો હતો.
