વાવ- થરાદ જિલ્લાના સરહદી પંથકમાં વહેલી સવારથી આકાશમાં વાદળા છવાતાં ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. સરહદી થરાદ, વાવ,દિયોદર અને લાખણી પંથકમાં ખેડૂતોએ રવિ સિઝનમાં રાયડો, ઘઉં, રાજગરો, જીરું, એરંડા જેવા પાકોનું મોટાપાયે વાવેતર કર્યું છે અને પાકોને અનુકૂળ ઠંડી પડતા વિવિધ પાકો ખીલી ઉઠયા છે પરંતુ હવામાન વિભાગની અગાહીના પગલે પંથકમાં ફરી એકવાર હવામાનમાં આકસ્મિક પલટો આવ્યો છે. જેમાં આકાશમાં વાદળાં છવાતા માવઠાની આશંકાએ ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે. હવામાન પલટાના પગલે ઠંડી પણ ઓછી થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

સ્થાનિક ખેડૂત રમેશભાઈએ જણાવ્યું કે, ચાલુ વર્ષે જીરું અને એરંડા સહિતના પાકોનું વાવેતર ખીલી ઉઠયું છે. જોકે, હવામાનમાં આવેલા અણધાર્યા પલટાએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને જીરાંના પાક માટે આ સમયે માવઠું અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે,અન્ય પાકોને પણ નુકસાન થાય તેમ છે.જે ખેડૂતોની ચિંતાનું મુખ્ય કારણ છે.