વ્યારા : ડોલવણ તાલુકાના અનેક ગામોમાં વીજલાઇન
ઉપર સામ્રાજ્ય જમાવી ચૂકેલાં ઝાડી-ઝાંખરા, વેલાઓને હટાવવામાં ન આવતાં
વારંવાર ફોલ્ટ થઈ રહ્યા છે. ત્યારે પ્રી-મોન્સૂન કામગીરી સત્વરે શરૂ થાય તેવી માંગ
ઊઠી છે.
ડોલવણ તાલુકાના પંચોલ, કુંભીયા, પાટી, બેડચીત સહિતના
અનેક ગામોમાં ઘરવપરાશ અને ખેતીવાડીની વીજલાઇનની પ્રી-મોન્સૂન કામગીરી શરૂ થઈ નથી.
વીજલાઇનના ઇલેક્ટ્રિક પોલ તથા ટ્રાન્સફોર્મરની ચોતરફ્ જંગલી વેલાઓ તેમજ
ઝાડી-ઝાંખરા ઘેરાયા છે. ઝાડી-ઝાંખરા અને વેલાઓથી વીજલાઇન ઘેરાયેલી રહેતાં તેને
લીધે વરસાદ-વાવાઝોડા જેવા માહોલમાં વારંવાર શોર્ટસર્કિટ થાય છે. સાથે જ વીજળી પણ
ડુલ થઈ જાય છે. ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં વીજલાઇનના મેન્ટેનન્સના અભાવે
વીજળી ગુલ કે ઇલેક્ટ્રિસિટી લોસના કારણે લો-વોલ્ટેજથી વીજગ્રાહકો ત્રસ્ત થાય છે.
વોલ્ટેજમાં વધ-ઘટ થવાના લીધે ક્યારેક વીજઉપકરણોને નુકસાન થવાના બનાવો બને છે. જો
ઝાડી-ઝાંખરા વીજપોલ કે ટ્રાન્સફોર્મર ઉપરથી ઉતારવામાં ન આવે તો ચોમાસા દરમિયાન
વારંવાર વીજળી ડુલ થવાનો પ્રશ્ન વધવાની શક્યતા છે. ઉપરાંત જોખમી બનેલા ટ્રાન્સફોર્મર
કે વીજપોલ ઉપરથી વીજકરંટ નીચે ઉતરવાની ભીતિ છવાયેલી રહે છે, જેથી
કોઈ નિર્દોષ નાગરિક કે મૂંગાં જાનવરો વીજકરંટનો ભોગ ન બને તે માટે વીજલાઇનની મરામત
થાય તે જરૂરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










