તાપી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં 23 હજારથી વધુ લોકોએ જોડાતા સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાયું હતું. રાષ્ટ્રધ્વજ માત્ર એક કાપડનો ટુકડો નથી પરંતુ આપણા બધાની એકતા, અહિંસા અને આઝાદીનું પ્રતિક છે તેવી દેશભકિતની ભાવના સાથે હજારો હાથોએ રાષ્ટ્રધ્વજને ગર્વભેર ઝીલ્યો હતો.

વંદે માતરમ્ની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત તાપી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વ્યારા આજે દેશભકિતના રંગે રંગાયું છે, વ્યારા જ નહીં તાપી જિલ્લાના તમામ નાગરીકોની સહભાગીદારી અહીં નજરે પડી રહી છે ત્યારે આપણી સૌની એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજયમંત્રી ડો.જયરામભાઇ ગામીતે પણ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત તમામ જનમેદનીને જોતા કહ્યું કે એકતા જ આપણી સાચી તાકત છે, એકતાથી બધું જ શક્ય બને છે. વ્યારાના ઉનાઇ નાકાના સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસસ્ટેન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી. દેશભકિતના રંગે રંગાઇએ, તિરંગાના સંગે જોડાઇએ ના નારા સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગની અભૂતપૂર્વ સહભાગીદારી જોવા મળી હતી. નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો, કલાકારો,નિવૃત્ત સૈનિકો, મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇને ઉત્સાહભેર જોડાયા હતા.

તિરંગા યાત્રા દરમિયાન શિસ્તબધ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડેસવાર દળ અને રાષ્ટ્રભકિતના સૂરો રેલાવતી બેન્ડ પાર્ટીએ આખી યાત્રામાં અનેરો ભવ્ય રંગ પૂર્યો હતો. યાત્રા મુખ્ય બજારમાંથી પસાર થતા જ નગરજનોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. 1000 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો, યાત્રા દરમિયાન રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજી અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. અંતે સામુહિક વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન જન ગણ મનનું ભાવપૂર્ણ ગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર દેશભકિતના ગીતો, નારાઓથી ગુંજી ઉઠતા દેશભકિતમાં લીન બન્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો