યાત્રાધામ બહુચરાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે દિવાળીના પવિત્ર દિવસે બહુચરાજી માતાજીને સોનાની થાળીમાં રાજભોગ થાળ ધરાવવામાં આવશે. જ્યારે બેસતુ વર્ષ 22 ઓક્ટોબરને બુધવારના રોજ થશે.


શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની યાદી મુજબ દિવાળીનો તહેવાર તા. 20મી ઓક્ટોબરને સોમવારના રોજ ઉજવાશે. જ્યારે 21 ઓક્ટોબરને મંગળવાર પડતર દિવસ રહેશે. અને બેસતુ વર્ષ 22મી ઓક્ટોબરને બુધવારના રોજ થશે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે સવારે 10:30 કલાકે સોનાની થાળીમાં માતાજીને પરંપરાગત મુજબ રાજભોગ જમાડવામાં આવશે. બેસતા વર્ષે રાજભોગ થાળ પછી માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવશે. 23મીને ગુરુવારના રોજ ભાઈબીજ તેમજ તા. 26મીને રવિવારના રોજ લાભ પાંચમ થશે દિવાળીના તહેવારો દરમિયાન મંદિરમાં સવારે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી સતત દર્શન થઇ શકશે. દિવાળીના તહેવારોમાં મા બહુચરના દર્શનાર્થે લાખો શ્રાદ્ધાળુઓ ઉમટી પડતા હોઈ માતાજીના મંદિરના નવિનીકરણના ચાલી રહેલા કાર્યને ધ્યાને લઈ મંદિર સન્મુખ દર્શન થઈ શકે તેવી મંડપ બાંધીને વ્યવસ્થા કરવામાં આવી છે.

શંખલપુર મંદિરે દિવાળી તથા બેસતા વર્ષના તહેવારો માટે વિશેષ વ્યવસ્થા

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે દિવાળીના તહેવારો દરમિયાન હજારો શ્રાદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. જેને ધ્યાને લઈ ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં શાંતિથી દર્શન થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરના ગર્ભગૃહમાં બોરૂવન જંગલ જેવી રચના કરવામાં આવી છે. દિવાળી અને બેસતા વર્ષ નિમિત્તે અન્નકૂટ ભરવામાં આવશે. અત્રે માતાજીના દર્શનાર્થે આવતા શ્રાદ્ધાળુઓ માટે ટોડા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


  • Follow us on: