અરવલ્લી જિલ્લામાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ધીમી ધારે વરસાદ થયા બાદ ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને એક જ રાતમાં 6.5 ઈંચ વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. હજુ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ભિલોડા પંથકમાં શનિવાર સાંજથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. દરમ્યાન સવારના છ વાગ્યા સુધીમાં તાલુકામાં 167 મી.મી વરસાદ પડયો હતો. એક જ રાતમાં તાલુકામાં 6.5 ઈંચ વરસાદ પડતાં ભિલોડા નગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રવિવારે સવારે જનજીવન ઉપર અસર થઈ હતી. ભિલોડામાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પાસે રહેણાક વિસ્તાર અને ધોરીમાર્ગ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. ઈડર-શામળાજી ધોરીમાર્ગ ઉપર પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. ભિલોડામાં રહેણાક વિસ્તારો શાંતિનગર, માણેકબા સોસાયટી, ગાજણનગર, ગોવિંદનગર, ત્રિભોવનનગર, આનંદનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાથમતી અને બુઢેલી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો.










