આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાશે અને ગુજરાતના દરિયાકાંઠે LC-3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે તેમજ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા સેવાઈ રહી છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે, રાજયમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, તાપી, વલસાડ, નવસારી, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજયમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 89 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે
રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.









