અમરેલી જિલ્લાના બાબરા અને સાવરકુંડલા પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળી છે. આ વરસાદ ખેડૂતો માટે રાહત અને ચિંતા બંને લઈને આવ્યો છે. બાબરા તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. ગઈકાલે પોણા ઈંચ વરસાદ બાદ આજે જામ બરવાળા, ગલકોટડી, ખાખરીયા, વાડલીયા, લુણકી અને ઈંગોરાળા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી મગફળી અને સોયાબીનના પાકને મોટો ફાયદો થયો છે.
અમરેલીના બાબરામાં સતત બીજા દિવસે વરસાદ
ગત રાત્રે પડેલા વરસાદને કારણે કાળુભાર નદીમાં પણ પૂર આવ્યું હતું. જોકે કેટલાક ખેડૂતોને ચિંતા પણ છે કે વધુ વરસાદથી કપાસના છોડના ફૂલ ખરી જવાની ભીતિ છે. જેનાથી પાકને નુકસાન થઈ શકે છે. અમરેલીના સાવરકુંડલામાં પણ મોડી સાંજે વરસાદનું આગમન થયું હતું. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો જેવા કે વિદ્યાનગર, ઝીંઝુડા અને બાઢડામાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે તેવી આશા છે.










