ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક ઠેકાણે મોટા મોટા ખાડા પડી ગયાં છે. ખાડાના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. જેમાં લોકોના મોત થયા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારે અધિકારીઓને તાત્કાલિક રોડ રિસરફેસ અને ખાડા પૂરવા માટે આદેશ કર્યો છે. ત્યારે ખાડાના કારણે પ્રથમવાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીને દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ ડિરેક્ટરને દંડ ફટકારાયો
ગુજરાતમાં નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે પ્રથમવાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને દંડ ફટકારવામાં આવ્યો છે. NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટરને મહીસાગર રોડ સેફ્ટી કમિટીએ 18 જૂનથી 7 જુલાઇ સુધી પ્રતિદિન 500 રૂપિયા લેખે 20 દિવસના 10 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.જ્યાં સુધી ખાડા નહીં પૂરાય ત્યાં સુધી દંડ વધશે.અમદાવાદ ગોધરા નેશનલ હાઈવે 47 પર ખાડા રાજ હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. ઈતિહાસમાં પહેલીવાર ખાડાના કારણે નેશનલ હાઈવે ઓથોરીટિના પ્રોજેક્ટ ડિરેક્ટરને દંડ ફટકારાયો છે.
NH-47 ધોરીમાર્ગ પર વરસાદને કારણે ખાડા પડ્યા
ગોધરાથી અમદાવાદ તરફ જતા NH-47 ધોરીમાર્ગ પર વરસાદને કારણે પડેલા ખાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વાહનચાલકો દ્વારા આ ખાડાઓના તાત્કાલિક રીપેરિંગ કરવાની માગ બુલંદ થઈ છે. વાવડી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા છતાં રસ્તાઓની દયનીય હાલત જોઈને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાડા રાજના કારણે મહિસાગર રોડ સેફ્ટી કમિટીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડિરેક્ટરને દંડ ફટકાર્યો છે.









