અરબી સાગરમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું હાલમાં પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની ગતિ અત્યંત ધીમી છે જે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વાવાઝોડું આવતીકાલ સવારથી તેની ગતિ વધુ ધીમી પડશે.શક્તિ ભલે ગુજરાતથી દૂર છે.પરંતુ તેની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને ભેજનું પ્રમાણ વધશે. જે હળવા વરસાદના રૂપમાં પરિણમી શકે છે.દરિયામાં ભારે પવનો અને કરંટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.
સોમનાથ ચોપાટી પર પ્રવાસીઓની અવરજવર બંધ કરાઈ
બીજી તરફ વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ હોવાથી તકેદારીના ભાગરૂપે સોમનાથ ચોપાટી પર પ્રવાસીઓની અવરજવર બંધ કરાઈ છે. ચોપાટી જવાના માર્ગ પર બેરિકેટ સાથે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ સરકારી કચેરીઓના અધિકારી તથા કર્મચારીઓને 10 ઓક્ટોબર સુધી હેડક્વાર્ટર નહીં છોડવા મનાઈ કરાઈ છે. અધિકારીઓ અને કર્મચારીઓની મંજૂર થયેલી રજાઓ રદ કરવામાં આવી છે. તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે. જો ફરજમાં બેદરકારી દાખવવામાં આવશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે.













