આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ, અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદી માહોલ બન્યો હોવાની વાત સામે આવી છે, આગામી દિવસોમાં વરસાદ વિદાય લેશે અને ગુલાબી ઠંડીની થશે શરૂઆત.
ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.
સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના અને માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી
અતિભારે વરસાદની આગાહીની સાથે સાથે રાજ્યના અન્ય અનેક વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડવાની કે હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સંભવિત ખરાબ હવામાન અને દરિયાની અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું LCS 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સૂચવે છે કે પોર્ટ છોડતા જહાજોને હવામાન સંબંધી ગંભીર ચેતવણીઓ છે.









