રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતોની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળ્યું છે, ખાસ કરીને તૈયાર થયેલા મગફળી અને કપાસના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાન એટલું વ્યાપક છે કે ખેડૂતો માટે સામાન્ય સહાય પૂરતી નથી. આ પરિસ્થિતિમાં, રાજકોટના ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને એક મોટી આશા વ્યક્ત કરી છે કે સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઉદાર અને વ્યાપક રાહત પેકેજ બહાર પાડશે.
ખેડૂત દીઠ રૂપિયા 1 થી રૂપિયા 1.5 લાખની માગણી
ખેડૂતોની મુખ્ય અને મજબૂત માગણી એ છે કે સરકારે પ્રતિ ખેડૂત દીઠ ઓછામાં ઓછું રૂપિયા 1 લાખ થી રૂપિયા 1.5 લાખ સુધીનું રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે, પાક વાવણીથી લઈને લણણી સુધીનો ખર્ચ, જંતુનાશકો અને ખાતરનો ખર્ચ તેમજ પાક નાશ થવાથી થયેલું નુકસાન આ રકમ કરતાં પણ વધુ છે. જો પૂરતું વળતર નહીં મળે, તો ખેડૂતો દેવામાં ડૂબી જશે અને તેમના માથે મોટું આર્થિક ભારણ આવશે. ખેડૂતોને સરકાર પર વિશ્વાસ છે કે આ વિષમ પરિસ્થિતિમાં સરકાર તેમનો સાથ આપશે.













