વિરમગામ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે. મેઘરાજાએ વિરામ લીધાના 5-5 દિવસ વીતી ગયા હોવા છતાં પણ અનેક વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ખાસ કરીને વિરમગામ એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં 3 ફૂટ જેટલાં ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતાં ડેપો તંત્ર અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ડેપો બહારથી બસોનું સંચાલન કરવા તંત્ર મજબૂર

બસ સ્ટેન્ડ પરિસરમાં જળભરાવના કારણે એસ.ટી. બસોને અંદર લઈ જવી શક્ય ન હોવાથી તંત્ર દ્વારા તમામ બસોને બસ સ્ટેન્ડની બહાર રોડ પર ઊભી રાખવાની નોબત આવી છે. જોકે, આ વિકટ પરિસ્થિતિ વચ્ચે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજથી અનેક રૂટ પરની એસ.ટી. બસ સેવાઓ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે, જેથી લોકોને થોડી રાહત મળી છે.

પાણીના નિકાલની ધીમી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

પાંચ દિવસનો સમય વીતી જવા છતાં મુખ્ય જાહેર સ્થળો પરથી પાણી ન ઉતરતાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને પાણીના નિકાલની આયોજનબદ્ધતા સામે સવાલો ઊભા થયા છે. પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે પંપ મૂકીને પાણી ખાલી કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :