ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજે પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. 

કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદનું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.જોકે,છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જળાશયોમાં નવા નીર આવવાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ