અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે વિરમગામ શહેર અને તેની આસપાસના સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
વિરમગામ અને નળકાંઠામાં 1 ઇંચથી વધુ વરસાદ
વિરમગામ શહેર ઉપરાંત નળકાંઠાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ટૂંક જ સમયમાં પંથકમાં 1 ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયાં છે.
નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં
વિરમગામ શહેરમાં ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના ભરવાડી દરવાજા, નાના-મોટા પરકોટા, કસ્ટમ રોડ સહિતના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ખેતી પાકોને નવજીવન, ખેડૂતોમાં ખુશીની લહેર
બીજી તરફ, આ વરસાદ અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સતત વરસાઈ રહેલા વરસાદી પાણીના કારણે સુકાવાની આરે પહોંચેલા ઊભા ખેતી પાકોને સંજીવની સમાન નવું જીવનદાન મળ્યું છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં હવે પાકનો વિકાસ ઝડપી બનશે, જેને પગલે પંથકના જગતના તાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
આ પણ વાંચો: Viramgam: વાંસવા દંગામાંથી અમદાવાદ જિલ્લા LCB ટીમે 3 રીઢા ગુનેગારને દબોચ્યા