ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam)ની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર ઉછાળો આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ નર્મદા ડેમ (Narmada Dam)માં ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની વર્તમાન જળસપાટી વધીને 135.75 મીટરે પહોંચી ગઈ છે.

24 કલાકમાં 12 સેમીનો વધારો

પાણીની સતત આવકના પરિણામે છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 12 સેન્ટીમીટરનો નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ (Narmada Dam)ની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલની સ્થિતિએ ડેમ તેની મહત્તમ ક્ષમતાથી હવે માત્ર થોડો જ દૂર છે. ઉપરવાસમાંથી જો આ જ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો ડેમ ટૂંક સમયમાં તેની પૂર્ણ સપાટી વટાવી શકે છે.

7920 MCM લાઈવ સ્ટોરેજ

હાલમાં નર્મદા ડેમમાં 7920.73 MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો જીવંત પાણીનો જથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ છે. આ મબલખ જળરાશિના કારણે ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીનું સંકટ ટળી ગયું છે. ડેમની સપાટીમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar: રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનિવાલ બન્યા સુરત મનપા કમિશનર, વાંચો લિસ્ટ