PM નરેન્દ્ર મોદીના આગામી નવસારી પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોને ધ્યાને રાખીને તૈયારીઓને વેગ આપવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા. PMના કાર્યક્રમને ભવ્ય અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
તૈયારીઓ અંગે આપ્યા મહત્વના સૂચનો અને આખરી ઓપ
બેઠક દરમિયાન PMના કાર્યક્રમના સ્થળ, સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ અને જનમેદનીના આગમનથી લઈને તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા સ્થાનિક પ્રશાસનને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
